ખુબ જ મુશ્કેલ હતું રાવણનું પાત્ર, અપશબ્દ કહેવા માટે ભગવાન પાસે માફી માંગતા હતા અરવિંદ ત્રિવેદી

દુરદર્શન પર પ્રસારિત થઈ રહેલી રામાયણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને રામાયણમાં કામ કરનાર દરેક અભિનેતાના લોકો વખાણ કરી રહ્યા છે. રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીને પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જે ખૂબીથી તેઓએ પોતાનું પાત્ર ભજવ્યું હતું તેના માટે તેની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. વળી હાલમાં જ અભિનેતા અરવિંદ ત્રિવેદીએ રાવણનું પાત્ર ભજવવાને લઈને ઘણા ખુલાસા કર્યા હતા અને જણાવ્યું હતું કે રાવણનું પાત્ર ભજવવું ખૂબ જ મુશ્કેલ હતું.

પોતાના લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાવણનું પાત્ર તેમને ભગવાન રામની કૃપાથી મળ્યું છે. આ પાત્રને નિભાવવા માટે ૪૦૦ થી વધુ લોકોએ ઓડિશન આપ્યું હતું અને આ લોકોમાંથી તેમને આ પાત્ર માટે પસંદ કરવામાં આવ્યા. એક ટીવી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાવણના પાત્ર માટે તૈયાર થવામાં તેમને ૫ કલાકનો સમય લાગતો હતો અને તેઓ જે કપડાં પહેરતા હતા તે ખૂબ જ વજનદાર હતા. તેમના મુકુટ નો વજન ખૂબ જ હતો અને સાથો સાથ આભૂષણો પણ ખૂબ જ વજનદાર હતા. અરવિંદ ત્રિવેદી અનુસાર જ્યારે તેઓ રાવણના પાત્રનું શૂટિંગ કરતા હતા તે પહેલા તેઓ લાંબી પૂજા કરતા હતા અને ઉપવાસ રાખીને શૂટિંગ કરતા હતા. શૂટિંગ પૂર્ણ થયા બાદ જ તેઓ ભોજન લેતા હતા.

રામજીનાં ભક્ત છે

અરવિંદ ત્રિવેદી રામજી ના ભક્ત છે અને તેવામાં રાવણનું પાત્ર ભજવવું તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતું. અરવિંદ ત્રિવેદી અનુસાર તેઓ સેટ પર જતા પહેલા રામજીની પૂજા કરતા હતા અને તેમની માફી માંગતા હતા. કારણકે રાવણનું પાત્ર નિભાવતા સમયે તેમના મોઢામાંથી ઘણા અપશબ્દો નીકળતા હતા. પૂજા કરીને તેઓ રામજી પાસે માફી માંગતા હતા અને કહેતા હતા કે હું તમને કંઈક અશબ્દ બોલવા જઈ રહ્યો છું પરંતુ તે ફક્ત પાત્ર માટે જ છે.

જોઈ રહ્યા છે રામાયણ

લોકડાઉન ના સમયમાં ફરી એકવાર રામાયણનું ટેલિકાસ્ટ થઈ રહ્યું છે અને અરવિંદ ત્રિવેદી દરરોજ રામાયણ જુએ છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ નિયમિત રૂપથી રામાયણ જુએ છે. અરવિંદ ત્રિવેદી હવે ૮૨ વર્ષના થઈ ગયા છે અને ઘણા લાંબા સમય પહેલાં જ તેઓ એક્ટિંગ છોડી દીધી છે. વળી રામાયણ બાદ અરવિંદજી એ રાજકારણમાં પણ કારકિર્દી બનાવેલ છે અને રાજકારણમાં પણ તેમની કારકિર્દી શાનદાર રહેલ છે.

૨૫૦ ફિલ્મોમાં કરેલ છે કામ

અરવિંદ ત્રિવેદીએ પોતાના જીવનમાં કુલ ૨૫૦ ગુજરાતી અને હિંદી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આજે પણ તેમને રાવણના પાત્ર માટે યાદ કરવામાં આવે છે. બીજી વખત રામાયણ ટેલીકાસ્ટ થવાને કારણે ફરીથી તેમની લોકપ્રિયતા વધી ગઈ છે અને તેમને રાવણના પાત્ર માટે લોકો તરફથી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. હાલમાં લોકડાઉન બાદ દૂરદર્શન ચેનલ પર રામાયણ દર્શાવવામાં આવી રહી છે અને રામાયણને કારણે આ ચેનલની ટીઆરપીમાં એકદમ ઉછાળો આવી ગયો છે અને રામાયણની ટીઆરપી ૧૫.૨ ની છે.